સમારકામ કરવા ઊંઝા ધારાસભ્યને રજૂઆત
ઊંઝામાં આવેલી શ્રી ઉમિયામાતા મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નંબર-4 ની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાની રાવ સાથે આ મામલે સ્થાનિક નાગરિક કૃણાલ હસમુખભાઈ મકવાણા દ્વારા ઊંઝા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કે. કે. પટેલને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, શાળાની ઇમારત હાલમાં અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ત્યાં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. આ ચિંતાજનક પરિસ્થિતિને કારણે વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કોઈ અણધારી કે અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જાગવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
પત્ર દ્વારા રજૂઆત કર્તાએ વિનંતી કરી છે કે શાળાનું સમારકામ તત્કાલ ધોરણે હાથ ધરવામાં આવે. આ સાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય કોઈ જગ્યાએ ભટકવું ન પડે અને શાળા પરિસરમાં જ યોગ્ય ભૌતિક સુવિધાઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.





