ઉપસરપંચ ભરતભાઈ પટેલ અને તલાટી વિધી દેસાઈ સફાઈ ઝુંબેશમાં જોડાયા
ઉંઝા તાલુકામાં સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઠેર ઠેર ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉંઝા તાલુકાના શિહી ગામના સરપંચ દશરથજી ઠાકોર દ્વારા સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામમાં ઉપસરપંચ ભરતભાઈ પટેલ અને તલાટી વિધી દેસાઈના સાથ સહકારથી જેસીબી મશીનથી સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
શિહી ગામે વર્ષોથી ગંદકીનું સામ્રાજય એવા ગ્રામ પંચાયતની આજુબાજુ વિસ્તારમાં જેસીબી મશીનથી સફાઈ હાથ ધરાઈ હતી. ગામમાં આવેલ સ્મશાન તરફ જવાના રસ્તાઓને સાફ કરાયા છે. તળાવના વધારાના ઝાડી ઝાંખરા તેમજ પાળીની સફાઈ કરવામાં આવી હતી. વધુમાં ચોમાસાને પગલે સરપંચ દશરથજી ઠાકોર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કુદરતી પાણીના વહેળામાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વહેળાની સાફ સફાઈ હાથ ધરાઈ હતી. આ સફાઈ અભિયાનને ગામ લોકોએ આવકારી તેમની કામગીરીને બિરદાવી હતી. સફાઈ ઝુંબેશમાં લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.





