યુવા પેઢીને કારકિર્દીના યોગ્ય માર્ગે વાળવા અને વર્તમાન સમયના પડકારો સામે જાગૃત કરવાના ઉમદા હેતુથી પાલનપુર સ્થિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ ખાતે ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ એક ભવ્ય 'કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામ' (Career Counselling Programme) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તરીકે બનાસકાંઠા બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) શ્રીમતી પરીક્ષિતા રાઠોડ (IPS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. વાય.બી.ડબગર અને ડૉ.પી.એસ. પટેલ દ્વારા આઈ.જી. પરીક્ષિતા રાઠોડનું છોડ અર્પણ કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે અતિથિ તરીકે પધારેલા બનાસકાંઠાના જાણીતા 'સદભાવના ટ્રસ્ટ' ના હરેશભાઈ ચૌધરીનું ભાવભર્યું સ્વાગત કે. પી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન ડૉ. પી. એસ. પટેલે કર્યું હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈ.જી. પરીક્ષિતા રાઠોડ (IPS) મેડમે કારકિર્દીના ઘડતર અંગે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કરી તે દિશામાં સખત પરિશ્રમ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. કારકિર્દી માર્ગદર્શનની સાથે સાથે તેમણે વર્તમાન સમયની ગંભીર સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થિની ઓ (દીકરીઓ) ની સલામતી અને સુરક્ષા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, ડિજિટલ યુગમાં સતત વધી રહેલા 'સાયબર ફ્રોડ' (Cyber Crime) થી કેવી રીતે બચવું, અજાણી લિંક કે કોલથી કઈ રીતે સાવધ રહેવું તેની વિસ્તૃત માહિતી આપી હતી. કોઈપણ મુશ્કેલી કે આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત પોલીસ મદદ મેળવવા માટે ગુજરાત પોલીસની '૧૧૨' (112) ઇમરજન્સી હેલ્પલાઇન સર્વિસના ઉપયોગ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.





