રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા20 સપ્ટેમ્બર, 2025

ડીસાના ભરચક બજારમાંથી ફટાકડાનો સ્ટોક હટાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ડીસાના ભરચક બજારમાંથી ફટાકડાનો સ્ટોક હટાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં ઢુવા રોડ નજીક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભયાનક હોનારતના પગલે ડીસાના વેપારીઓ અને સ્થાનિકોમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો છે. આ ભયને ધ્યાનમાં રાખીને, શહેરના ભરચક બજાર વિસ્તારમાં આવેલી દુકાનો અને ભોંયરાઓમાંથી ફટાકડાનો ગેરકાયદેસર સ્ટોક તાત્કાલિક દૂર કરવા અને આવી પ્રવૃત્તિના પરવાના રદ કરવા માટે વેપારીઓએ નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપીને સખત રજૂઆત કરી છે. રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં જાનહાનીનો મોટો દહેશત વેપારીઓની રજૂઆત મુજબ, ડીસા શહેરના વોર્ડ નં. ૬ વિસ્તારમાં મેઈન બજાર પાસે, ભગવતી સાડી શો રૂમની પાછળ, ડો. આંબેડકર ચોક અને જલાની શોપિંગ સેન્ટર જેવા અત્યંત ભીડભાડવાળા અને રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો મોટા પાયે સ્ટોક કરવામાં આવ્યો છે. આ સ્ટોકનો ઉપયોગ હોલસેલ અને છૂટક વેચાણ માટે થઈ રહ્યો છે. આ વિસ્તારમાં શોપિંગ સેન્ટરોમાં સાડીઓ, રેડીમેડ કપડાં, કરિયાણું, જ્વેલર્સ, વાસણ ભંડાર અને કટલરી જેવી અનેક દુકાનો આવેલી છે. તહેવારો કે પ્રસંગોપાત અહીં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોવાથી આ વિસ્તાર સદાય ગીચ રહે છે. ઢુવા રોડની ઘટનામાંથી શીખ લઈને તાત્કાલિક પગલાં લેવાની માંગ વેપારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તાજેતરમાં ઢુવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બનેલી દર્દનાક હોનારત જેવી દુર્ઘટના જો આ ભરચક વિસ્તારમાં થાય તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના છે. પ્રચંડ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહને કારણે આગ કે બ્લાસ્ટ થવાની સ્થિતિમાં અસંખ્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે છે. સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે, નાયબ કલેક્ટરે આ વિસ્તારની રૂબરૂ સ્થળ તપાસ કરાવવી જોઈએ. આ તપાસ બાદ જે દુકાનોમાં ફટાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે તેને સત્વરે ખાલી કરાવીને સીલ કરવી જોઈએ. ​પરવાનગી રદ કરવા અને ભવિષ્યમાં પ્રતિબંધ મૂકવા માટે ભારપૂર્વક રજૂઆત આવેદનપત્રમાં વેપારીઓએ મુખ્યત્વે બે માંગણીઓ પર ભાર મૂક્યો છે: આ વિસ્તારમાં આવા સ્ફોટક પદાર્થોનો સ્ટોક કરવાની જે પણ પરવાનગી આપવામાં આવેલી હોય, તે તાત્કાલિક રદ કરવામાં આવે. ભવિષ્યમાં આ રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં ફટાકડા કે અન્ય કોઈ જોખમી સ્ફોટક પદાર્થોનો સંગ્રહ કરવા માટે કોઈપણ નવી પરવાનગી ન આપવામાં આવે. ડીસાના વેપારી મંડળે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ જનહિતમાં ત્વરિત અને કડક પગલાં ભરશે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે.    

સંબંધિત સમાચાર