રખેવાળ
બ્રેકિંગ
પાટણ19 માર્ચ, 2026| Super Admin

પાટણના સાંતલપુર પંથકના કચ્છના નાના રણમાં પવન-વરસાદનો કહેર : સોલાર પેનલ તૂટતાં કરોડોનું નુકસાન

પાટણના સાંતલપુર પંથકના કચ્છના નાના રણમાં પવન-વરસાદનો કહેર : સોલાર પેનલ તૂટતાં કરોડોનું નુકસાન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કચ્છના નાના રણ વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન અને વરસાદે કહેર વર્તાવ્યો હતો. આ કુદરતી આફતના કારણે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા.અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી,અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.આ કુદરતી આફતનો સૌથી મોટો ફટકો અગરિયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સોલાર પેનલને પડ્યો હતો. વીજળી અને પાણી સહિતની મૂળભૂત જરૂરિયાતો માટે આધારરૂપ સોલાર પેનલ પવનના ઝાપટામાં તૂટી ગયા હતા.કેટલાક સ્થળોએ વરસાદી પાણીના કારણે સોલાર ઉપકરણો બગડી ગયા હોવાનું અગરિયાઓએ જણાવ્યું હતું.રણ વિસ્તારમાં મોડી રાત્રે આવેલા આ અચાનક પવન અને વરસાદના કારણે મીઠાના અગરોમાં પણ અસર જોવા મળી રહી છે. મીઠા ઉત્પાદનની પ્રક્રિયા વચ્ચે આવી કુદરતી આફત આવતા અગરિયાઓના રોજગાર પર પણ ગંભીર અસર પડી છે. હાલ પ્રાથમિક અંદાજ મુજબ અગરિયાઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સ્થળ પર સર્વે કરી વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય વળતર અને સહાય જાહેર કરવાની માંગણી કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અગરિયાઓ રણ વિસ્તારમાં કપરા સંજોગોમાં મીઠા ઉત્પાદનનું કામ કરે છે.આવી કુદરતી આફતમાં તેમને તાત્કાલિક સહાય પહોંચાડવી અત્યંત જરૂરી બની છે. કચ્છના નાના રણમાં સર્જાયેલી આ પરિસ્થિતિએ અગરિયાઓના જીવન અને રોજગાર બંનેને ઝાટકો આપ્યો છે. અસરગ્રસ્ત પરિવારો હવે સરકાર દ્વારા ઝડપી રાહત અને વળતરની કાર્યવાહી થાય તેવી આશા રાખી રહ્યા છે.      

સંબંધિત સમાચાર