પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોશેવસ્કીએ એક બોલ્ડ દાવો કર્યો છે, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી ભૂમિકાની પ્રશંસા કરી છે. બાર્ટોશેવસ્કીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ 2022 ના અંતમાં યુક્રેનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન વડા પ્રધાન મોદીને ગંભીરતાથી સાંભળે છે અને તેમના મંતવ્યોનો આદર કરે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, બાર્ટોશેવસ્કીએ કહ્યું કે પીએમ મોદી વિશ્વના એક આદરણીય અને પ્રભાવશાળી રાજકારણી છે.
તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર ભારતના વલણની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતનો અભિગમ સાચો છે. ભારત એક મોટો અને મહત્વપૂર્ણ દેશ છે, જેની અર્થવ્યવસ્થા તેલ અને ગેસના અવિરત પુરવઠા પર ખૂબ આધાર રાખે છે. તેમણે નોંધ્યું કે પોલેન્ડ પણ ઈરાન સાથે સંપર્કમાં છે અને સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિકતા રાજદ્વારી ઉકેલ છે. તેમણે કહ્યું કે પોલેન્ડ, વડા પ્રધાન મોદીની જેમ, પણ વાતચીત અને સમજણ દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે, જોકે અત્યાર સુધી તેની મર્યાદિત અસર થઈ છે.
નોંધનીય છ કે જોઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેબ્રુઆરી 2022 માં શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. દરમિયાન, ગયા મહિને સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને "મહાન દેશ" ગણાવ્યું હતું. તેમણે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભારત તેના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ તમામ દેશો સાથે સંબંધો વિકસાવી રહ્યું છે, જે સંપૂર્ણપણે સ્વાભાવિક છે.





