૨,૨૮૧ પરિવારોનું ‘પોતાના ઘરનું સ્વપ્ન’ સાકાર થશે
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંદાજે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ ૩૮,૯૪૯ આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના નવનિર્મિત ૨,૨૮૧ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આધુનિક સુવિધાયુક્ત મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં અંદાજે રૂ.૩૮.૫૭ કરોડના ખર્ચે આ ૨,૨૮૧ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રૂફ-કાસ્ટ માટે રૂ. ૫૦ હજાર, શૌચાલય માટે રૂ. ૧૨ હજાર અને મનરેગા હેઠળ ૯૦ દિવસની મજૂરી પેટે રૂ. ૨૫,૯૨૦ જેવી પૂરક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજનાની કામગીરી વેગીલી બની છે. આ યોજના માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી, પરંતુ છેવાડાના માનવીને સુરક્ષા અને સ્થિરતા પૂરી પાડતું ‘સન્માનનું ઘર’ છે. મહેસાણા જિલ્લાના આ ૨,૨૮૧ પરિવારો હવે કાચા મકાનો કે ઝૂંપડામાંથી મુક્ત થઈને પાકા મકાનોમાં પ્રવેશ કરશે, જે ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે
.





