બહુચરાજીથી એદલા ગામ તરફ જતા માર્ગ પર પાઇપલાઇનની કામગીરી બાદ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ખુલ્લા મુકાયેલા ખાડાઓને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામગીરી પૂર્ણ થવા છતાં સમારકામ ન કરાતા આ માર્ગ હવે રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એદલા ગામ તરફ જતા રોડની સાઈડમાં પાઇપલાઇન નાંખવા માટે તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા. પાઇપલાઇનનું કામ તો પૂરું થઈ ગયું છે, પરંતુ રસ્તાને યોગ્ય રીતે સમતલ કે સમારકામ કરવાની તસ્દી લેવામાં આવી નથી. આ માર્ગ પરથી રોજના અનેક વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લા અને મોટા ખાડાઓ દેખાતા ન હોવાથી વાહનચાલકો માટે તે મોટી હોનારત કે અકસ્માત સર્જી શકે તેમ છે.
આટલી ગંભીર સમસ્યા હોવા છતાં નગરપાલિકા કે સ્થાનિક વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. તંત્રની આ નિષ્ક્રિયતા જોઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, "શું પ્રશાસન કોઈ નિર્દોષનો ભોગ લેવાય કે મોટો અકસ્માત બને તેની રાહ જોઈને બેઠું છે?" લોકોને રોજેરોજ પડતી આ હાલાકી અને અકસ્માતના ડરને પગલે સ્થાનિકોમાં ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે. નાગરિકોની માંગ કરતા જણાવ્યું છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવે અને રસ્તાની સાઈડમાં રહેલા આ તમામ ખાડાઓ સત્વરે પૂરી દે. રસ્તાનું યોગ્ય સમારકામ કરી તેને વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવામાં આવે. લોકોને પડતી અગવડતા દૂર કરી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની તકેદારી રાખવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે, તો લોકોની ધીરજ ખૂટી શકે છે અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કે વિરોધ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવું એ રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં સુતેલું પ્રશાસન આ અહેવાલ અને લોકમાંગ બાદ ક્યારે જાગે છે!





