રખેવાળ
બ્રેકિંગ
પાટણ6 જાન્યુઆરી, 2026

પાટણના નિવૃત ASI નો લાંચ કેસમાં જેલવાસ લંબાયો : જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી

પાટણના નિવૃત ASI નો લાંચ કેસમાં જેલવાસ લંબાયો : જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી

પાટણ જિલ્લા પોલીસના નિવૃત એએસઆઈ ઈશ્વર નાગજીભાઈ દેસાઈ (ઉ.વ. 61)ની નિયમિત જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.જજ પ્રશાંત એચ.શેઠે આ નિર્ણય સંભળાવતા તેમનો જેલવાસ લંબાયો છે. તેઓ છેલ્લા છ વર્ષથી એસીબી કેસનો સામનો કરી રહ્યા છે. ઈશ્વરભાઈ સામે પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં 2025માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે પણ નામંજૂર કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધા બાદ, તેઓ 27 ઓક્ટોબર, 2025ના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને હાલ તે સ્પેશિયલ એસીબી કેસ નંબર 6/2025 તરીકે પાટણની એસીબી કોર્ટમાં વિચારણા હેઠળ છે. આ કેસ 25 ડિસેમ્બર, 2019ના રોજ પાટણ એસીબી પોલીસે ગોઠવેલા લાંચના છટકા સાથે સંબંધિત છે. જોકે, તે છટકું નિષ્ફળ ગયું હતું. તેની તપાસ બાદ પાંચ વર્ષ પછી 2025માં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે ભારપૂર્વક વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી તે સમયે રાઈટર તરીકે ફરજ બજાવતા હતા.તેમણે એક વ્યક્તિને પોક્સો કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં રૂપિયા એક લાખની માંગણી કરી હતી, જે અંતે રૂપિયા 50,000 પર આવી હતી. વકીલે જણાવ્યું હતું કે, એસીબીના ત્રણ તત્વો પૈકી માંગણી સાબિત થાય છે અને લાંચના છટકા દરમિયાન થયેલું રેકોર્ડિંગ આરોપી દ્વારા લાંચની માંગણી દર્શાવે છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાંલઈને જામીન અરજી નામંજૂર કરી હતી.    

સંબંધિત સમાચાર