વોર્ડ નં-11ના રહીશો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો તાળાબંધીની ચિમકી
ઐતિહાસિક નગરી પાટણના વોર્ડ નંબર 11માં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ગુરૂવારે નગરપાલિકા તંત્ર સામે અનોખો આક્રોશ વ્યક્ત કર્યો છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, અખંડ આનંદ સોસાયટીના મુખ્ય ગેટ પાસે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પ્રતીકાત્મક પૂતળા બનાવી તેને રસ્તા પર વહી રહેલા ગટરના ગંદા પાણીમાં તરતા કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં આવેલા પવિત્ર મંદિરો અને શાળા-દવાખાના વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય આ ગટરના ગંદા પાણીના કારણે આજુબાજુની 25 જેટલી સોસાયટી ઓના રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં રેડક્રોસ ભવન દવાખાનું, કે.કે. આર્ટ્સ સ્કૂલ અને પદ્મનાભ ભગવાનનું પવિત્ર મંદિર આવેલું છે. આ પવિત્ર મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ, શાળાના નિર્દોષ બાળકો અને દવાખાને સારવાર માટે આવતા દર્દીઓને રોજ ગટરના ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. રાત્રિના સમયે ગંદી વાસ એટલી હદે વકરી જાય છે કે સ્થાનિક લોકો સુખેથી સૂઈ પણ શકતા નથી.
આ ઐતિહાસિક નગરીને ચીફ ઓફિસરે અને પાલિકા પ્રમુખે ગારા નગરીમાં ફેરવી દીધી છે. જો આ સમસ્યા હલ નહીં થાય તો મહિલાઓ નગર પાલિકાને તાળાબંધી કરશે. તેવી ચીમકી આપતા વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ ગંભીર પ્રોબ્લેમ હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે, જેના કારણે આજે મહિલાઓએ પોતે આગળ આવીને મોરચો સંભાળવો પડ્યો છે. જો આગામી દિવસોમાં આ ગટરની સમસ્યાનું કાયમી અને ટૂંક સમયમાં સોલ્યુશન લાવવામાં નહીં આવે, તો આ વિસ્તારની મહિલાઓ રણચંડી બનશે અને પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ઓફિસને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.





