"તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ જનસહાય કેમ્પ યોજી વ્યાજખોરોથી બચાવવા લોન ધિરાણ ચેક અપાયાં
પાટણ જિલ્લા પોલીસે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે નાગરિકોને વ્યાજખોરીના વિષચક્ર માંથી મુક્ત કરવા અને સુરક્ષાના હેતુથી વિશેષ જનસહાય તેમજ માર્ગદર્શન કેમ્પનું શનિવારે આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં "તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત અંદાજે રૂ. 40 લાખની કિંમતના ચોરાયેલા કે ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતો. આ સાથે જ, આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા રૂ. 5 કરોડ ની લોનનું ધિરાણ કરી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વિગતો મુજબ, પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુમાવેલ રકમ પૈકી 14.82 લાખ રૂપિયા ફરિયાદીઓના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે રિકવર કરેલા 38 મોબાઈલ ફોન, 4 બાઈક,1 ગાડી,રૂ.2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના પણ તેના અસલી માલિકોને સુપરત કર્યા હતા.પોલીસ અધિક્ષક વી. કે. નાયી ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને રિજનલ મેનેજર જગદીશ મેહરચંદાણી,લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંઘ ગેહલોત અને DySP પરેશ રેણુકા, નગર પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ,સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. DySP પરેશ રેણુકાએ આ તબક્કે જણાવ્યું હતું કે, લોન મેળા દ્વારા પાત્રતા ધરાવતા અરજદારોને રૂ. 5.50 કરોડ સુધીની લોન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમણે નાગરિકોને નાની કે મોટી લોન માટે માત્ર સરકારી અથવા અધિકૃત બેંકોનો જ સંપર્ક કરવા અને ગેરકાયદેસર મની લેન્ડર્સથી દૂર રહેવા સૂચના આપી વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ વ્યાજખોર દ્વારા બળ
જબરીપૂર્વક ઉઘરાણી કે હેરાનગતિ કરવામાં આવતી હોય, તો નાગરિકો કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ વિભાગ દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તેઓ દ્રારા ખાતરી આપવામાં આવી હતી.





