મહેસાણા શહેરના ઇન્દિરાનગર નજીક આવેલી ચિત્રોડીપુરા વસાહતથી લઈને શિવમ રેસીડેન્સી અને સાંઇનાથનગર સોસાયટી સુધીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં ગટર લાઇન નાખવાની કામગીરી લાંબા સમયથી અધ્ધરતાલ છે, જેના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ ઉપરાંત, આ તમામ વિસ્તારોને જોડતા આશરે ૭૦૦ મીટર લાંબા માર્ગને મંજૂરી મળ્યે બે વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી, જે પાલિકા તંત્રની લાલિયાવાડીની ચાડી ખાય છે.
માર્ગ અને ગટરની જટિલ સમસ્યાઓ ઉપરાંત અહીના રહીશો રાત્રિના સમયે ઘોર અંધકારનો સામનો કરવા પણ મજબૂર બન્યા છે. શિવમ રેસીડેન્સીથી સાંઇનાથનગર સોસાયટી સુધીના માર્ગ પર સ્ટ્રીટલાઇટના થાંભલા ઊભા કરવા માટે સ્થાનિક જનતા દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, પાલિકાના બહેરા કાને લોકોની આ વ્યાજબી માંગણી અથડાઈને પાછી ફરી છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને રોજીંદા જીવનમાં તેમને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે.
મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૩ના મ્યુનિસિપલ કાઉન્સિલરો અને નિંદ્રાધીન સત્તાધીશોના કાન સુધી જનતાનો બુલંદ અવાજ પહોંચાડવાના હેતુથી વિસ્તારમાં એક વિશેષ 'મહોલ્લા સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાના આ વણઉકેલ્યા પ્રશ્નોને વાચા આપવા માટે યોજાયેલી આ સભામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા, એડવોકેટઓ તેમજ પાર્ટીના અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સભા થકી વહીવટી તંત્રને સત્વરે અધૂરા કામો પૂરા કરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો.





