હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે. ઈરાનના હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે અનેક ભારતીયો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લઈ નવી દિલ્હીમાં ઈરાનના નાયબ રાજદૂત મોહમ્મદ જવાદ હુસૈનીને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો છે. સાથે જ આ હુમલા અંગે સ્પષ્ટતા પણ માંગી છે. માહિતી મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના બે તેલ ટેન્કરો પર ક્રુઝ મિસાઈલોથી હુમલો થયો હતો. યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં છ ભારતીયો સહિત આઠ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક ભારતીયનું મોત થયું હતું.
બીજી તરફ, અમેરિકાએ ઈરાન પર મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર લગભગ પાંચ કલાક સુધી ચાલેલા હુમલાઓમાં ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.આ દરમિયાન ચીને પણ અમેરિકા અને ઈરાન બંનેને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર ફરી શરૂ કરવા અને તણાવ ઘટાડવા અપીલ કરી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે રોઇટર્સ-ઇપ્સોસના નવા સર્વેએ અમેરિકન જનતાની ચિંતાઓને ઉજાગર કરી છે. સર્વે મુજબ, 79 ટકા અમેરિકનોનું માનવું છે કે ઈરાન સામેની અમેરિકી સૈન્ય કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. માર્ચના અંતમાં આ આંકડો 65 ટકા હતો, એટલે કે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 58 ટકા અમેરિકનો ઈરાન સામેના યુદ્ધનો વિરોધ કરે છે, જ્યારે 37 ટકા લોકો અમેરિકી સૈન્ય કાર્યવાહીનું સમર્થન કરે છે. તે ઉપરાંત, 51 ટકા લોકોનું માનવું છે કે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય યોગ્ય નહોતો. જ્યારે 24 ટકા લોકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને 23 ટકા લોકો હજુ પણ આ મુદ્દે નિશ્ચિત મત ધરાવતા નથી.
આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા તાજેતરના હુમલામાં એક ભારતીય નાગરિકના મોત અને અન્ય ભારતીયોના ઘાયલ થવાની ઘટના બાદ ભારતે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદ્વારીઓને બોલાવી ઘટનાને લઈને સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર હવે આગામી રાજદ્વારી અને સૈન્ય પગલાં પર છે.





