સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાની કોર્પોરેટરની ચીમકી
પાટણના મોતીશા સોસાયટી વિસ્તાર અને રાધનપુરી વાસ સહિતના આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર રેલાતાં સ્થાનિકો નરકાગારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ગટર પમ્પિંગ સ્ટેશનનું પેનલ બોર્ડ બળી ગયું હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. વોર્ડ નંબર 9 માં આવેલા ભૂગર્ભ ગટરના પંપીંગ સ્ટેશનમાં અવારનવાર ટેકનિકલ ખામીઓ સર્જાય છે.ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર બળીને ખાખ થઈ ગયું હતું. રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પટણી સમાજની વાડી આવેલી છે અને આ જ મુખ્ય માર્ગ સ્મશાન તરફ જતો હોવાથી કોઈ મૈયત કે સ્મશાનયાત્રા કાઢવાની હોય ત્યારે પણ લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
સ્ટેશન બંધ પણ કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી. પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ પટ્ટણીએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી વધુના સમયથી પેનલ બોર્ડ બળી ગયું છે. જે કામ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કરવું જોઈએ, તે કરવા માટે તંત્ર પાસે સમય નથી. આટલા બધા કલાકો થવા આવ્યા છતાં પેનલ બોર્ડ સમું કરવામાં આવ્યું નથી. પાલિકા માત્ર લોકોને હેરાન જ કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. જો બે દિવસમાં પ્રશ્નો સોલ નહીં થાય તો પાલિકામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો સાથે ધરણા પર બેસવાની કોર્પોરેટરે ચીમકી આપી છે.





