રખેવાળ
બ્રેકિંગ
મહેસાણા30 માર્ચ, 2026| Super Admin

શક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

શક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને મનોરંજન માટે વિશેષ આયોજન

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બેચરાજી ખાતે આગામી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ થી ૦૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન પરંપરાગત ચૈત્રી પૂનમના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળામાં અંદાજે ૧૦ લાખ જેટલા ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેથી આવનાર તમામ શ્રદ્ધાળુઓ સુગમતાથી દર્શન કરી શકે અને તેમને પૂરતી સુવિધાઓ મળી રહે.

યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં મંડપ વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાનું ચુસ્ત નેટવર્ક ગોઠવવામાં આવશે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તો માટે ઠંડા પાણીના ફુવારા, મિનરલ વોટરના જગ, વોટર કુલર જમ્બો અને પંખાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં આવનાર ભક્તોના સ્વાગત માટે આકર્ષક મેઈન ગેટ અને રાત્રિના સમયે ઝગમગાટ ફેલાવતી આકર્ષક રોશની તેમજ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભીડના વ્યવસ્થાપન માટે દિશા સૂચક બોર્ડ, બેરીકેટીંગ અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જે ભક્તો પ્રત્યક્ષ આવી શકે તેમ નથી તેમના માટે યુટ્યુબના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

મેળાના સાંસ્કૃતિક પાસાને ઉજાગર કરવા માટે ટ્રસ્ટ દ્વારા પૂનમના આગલા દિવસે એટલે કે તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક કલાકાર માયાભાઈ આહીર પોતાની કલા પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ સાથે જ સેવાની પરંપરા જાળવી રાખતા ટ્રસ્ટ સંચાલિત અન્નપૂર્ણા ભોજનાલય ખાતે ચૈત્રી પૂનમના દિવસે એટલે કે તારીખ ૦૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે તથા સાંજે દર્શનાર્થે પધારતા તમામ યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

લાંબા અંતરેથી આવતા યાત્રાળુઓની સુવિધા માટે વિશ્રામની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન આરામ માટે સર્વોદય હાઈસ્કૂલ પાસે, જૂના ભોજનાલય ખાતે તથા કાલરી રોડ પર આવેલ નાની માતાના મંદિરવાળી જગ્યાએ વિશ્રામની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ફાયર સેફ્ટીના સાધનો અને અન્ય ઈમરજન્સી સુવિધાઓ પણ તૈનાત રાખવામાં આવશે, જેથી મેળો નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.

સંબંધિત સમાચાર