ભારતમાં ઘણી બેંકો લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB) જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ વસૂલ કરે છે. નિયમો અનુસાર, ગ્રાહકોએ બેંક દ્વારા નિર્ધારિત લઘુત્તમ સરેરાશ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો કોઈ ગ્રાહક તેમના બેંક ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જાય છે, તો તેમની બેંક દંડ વસૂલ કરે છે. તેવી જ રીતે, વિવિધ બેંકોએ લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ ચાર વર્ષમાં તેમના ગ્રાહકો પાસેથી 26,100 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
નાણા મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે ADFC બેંક , એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડાએ તેમના ગ્રાહકો પાસેથી સૌથી વધુ દંડ વસૂલ્યો છે જેઓ તેમના બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા. નાણા મંત્રાલયે જાહેર અને ખાનગી બંને બેંકો પાસેથી આ બાબતો સંબંધિત ડેટા શેર કર્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોનો ડેટા નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીનો છે, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોનો ડેટા નાણાકીય વર્ષ 22-23 થી નાણાકીય વર્ષ 25-26 સુધીનો છે.
મંત્રાલયના ડેટા અનુસાર, ADFC બેંકે ગ્રાહકો પાસેથી તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ સૌથી વધુ રૂ. 5,670 કરોડનો દંડ વસૂલ્યો છે, ત્યારબાદ એક્સિસ બેંકે રૂ. 3,787 કરોડ અને બેંક ઓફ બરોડાએ લગભગ રૂ. 2,028 કરોડનો દંડ વસૂલ્યો છે. આ યાદીમાં પંજાબ નેશનલ બેંક ચોથા સ્થાને છે, જેણે રૂ. 1,896 કરોડનો દંડ વસૂલ્યો છે. ઇન્ડિયન બેંકે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 દરમિયાન ગ્રાહકો પાસેથી રૂ. 1,777 કરોડનો દંડ વસૂલ્યો હતો.
સરકારે 28 જુલાઈના રોજ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ ડેટા શેર કર્યો હતો. નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા MAB ન જાળવવા બદલ વસૂલવામાં આવતા ચાર્જ અંગે માહિતી આપી હતી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકોએ બચત ખાતાઓ માટે આ દંડ પહેલાથી જ માફ કરી દીધો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોએ બેંકિંગને સરળ બનાવવા માટે તેમના સર્વિસ ચાર્જ માળખાની સમીક્ષા કરી છે.





