શ્રીલંકામાં ભીષણ આગ લાગી છે. એક વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં સાત અન્ય વૃદ્ધો દાઝી ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે કોલંબોથી લગભગ 65 કિલોમીટર દક્ષિણપૂર્વમાં, કાલુતારા જિલ્લાના અંગુરુવાટોટામાં આવેલા માવાપિયા સેવાના વૃદ્ધાશ્રમમાં બુધવારે સાંજે 5:30 વાગ્યે આગ લાગી હતી.
પોલીસે જણાવ્યું હતું કે 10 લોકો પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક વૃદ્ધ વ્યક્તિનું હોરાના બેઝ હોસ્પિટલમાં દાખલ થયા પછી મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કુલ 51 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે સાત ઘાયલો હજુ પણ હોસ્પિટલમાં છે. આગના દ્રશ્યથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ અને પોલીસની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ઘટના દરમિયાન ગેસ સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.





