ચેક રિટર્નના એક કેસમાં ડીસાની અદાલતે મહત્ત્વનો ચુકાદો આપી, આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદ પક્ષને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી નાણાકીય વ્યવહારોમાં બેદરકારી દાખવનારા અને ચેક બાઉન્સ કરનારા સામે કાયદાનો ડર વધશે. કેસની મુખ્ય વિગતો મુજબ શ્રી ઠાકોરજી ટ્રેડીંગ કું.ના પ્રોપરાઈટર સોલંકી પ્રકાશકુમાર મફાજી (ફરિયાદી) દ્વારા પ્રશાંતકુમાર મોતીલાલ પરમાર (આરોપી) વિરુદ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- ૧૩૮ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આરોપી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધો હતા. આરોપીએ તેમની પાસેથી રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) હાથ ઉછીના લીધા હતા અને તે રકમ પરત કરવા માટે બેંક ઓફ બરોડાના રૂ. ૧,૦૦,૦૦૦/-ના બે ચેક આપ્યા હતા.પણ ફરિયાદીએ જ્યારે ચેક બેંકમાં જમા કરાવ્યા, ત્યારે તે ‘ફંડસ ઈનસફીસીયન્ટ’ (ખાતામાં અપૂરતું ભંડોળ) ના શેરા સાથે તારીખ ૩/૫/૨૩ ના રોજ પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ કાયદા મુજબ આરોપીને રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્વારા તારીખ ૧/૬/૨૩ ના રોજ કાનૂની નોટિસ મોકલાવી હતી, જે તારીખ ૨/૬/૨૩ ના રોજ બજી ગયેલ હતી. નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં આરોપીએ રકમ પરત ન કરતાં, ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.જ્યાં
લાંબી કાનૂની કાર્યવાહીના અંતે, ડીસા કોર્ટે આરોપી પ્રશાંતકુમાર મોતીલાલ પરમારને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- ૧૩૮ હેઠળ કસૂરવાર ઠરાવ્યા હતા અને એક વર્ષની સાદી કેદની સજા તથા ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ- ૩૫૭ (૩) અન્વયે ફરિયાદ પક્ષને રૂ. ૧,૦૦,૦૦૦/- નું વળતર ચુકાદાની તારીખથી ૬૦ દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તે બદલ આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદની સજા પણ ભોગવવી પડશે.

