- મહારાષ્ટ્રમાં મંદિર પાસે છત ધરાશાયી, 6નાં મોત
- મહાપ્રસાદ દરમિયાન મોટી દુર્ઘટના, 30-40 લોકો કાટમાળમાં ફસાયા
- હનુમાન મંદિર અકસ્માતના CCTV આવ્યા સામે
- મંદિરમાં ભીડ વચ્ચે છત તૂટી પડતાં હાહાકાર
મહારાષ્ટ્રમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. હનુમાન મંદિર પાસે આવેલી છત અચાનક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાની માહિતી મળી રહી છે. ઘટનામાં 30થી 40 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવાર હોવાથી મહાપ્રસાદ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. આ દરમિયાન અચાનક છત તૂટી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છત તૂટી પડતા જ લોકોમાં મચેલી ભાગદોડ અને અફરાતફરીના દૃશ્યો જોવા મળે છે. આ દૃશ્યો સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે. પ્રશાસન દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે.





