મહેસાણાના રામોસણા ગામની એક પાટીદાર યુવતીના શંકાસ્પદ મોતનો મામલો હાલ ભારે ગરમાયો છે. ૧૦ દિવસથી ગુમ યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રામોસણા ગામમાં રહેતી સંગીતાબેન કાંતિલાલ પટેલ નામની યુવતી ગુમ થયાના થોડા દિવસો બાદ તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તેના શરીર પર હથિયારના ઘા જોવા મળ્યા હતા અને શરીર થોડું દાઝેલું પણ હતું. લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાથી શરીરમાં પાણી ભરાઈ જવાના કારણે મૃતદેહ ફૂલી ગયેલી હાલતમાં હતો. મૃતદેહની આ ગંભીર પરિસ્થિતિ જોતા પ્રથમ દૃષ્ટિએ જ આ મામલો હત્યાનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. મરણજનાર સંગીતાબેનના માથે પિતાની છત્રછાયા નથી અને તેમની માતા એકલવાયું જીવન જીવી રહ્યા છે. પરિવારમાં ન્યાય માટે લડનાર કોઈ સક્ષમ વ્યક્તિ ન હોવાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટનાના ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા વિધિવત એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. પરિવારજનો અને સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે પોલીસ માત્ર આકસ્મિક મોત નોંધીને તપાસ સમેટી લેવા અને આ ગંભીર હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમગ્ર પ્રકરણમાં બુટા પાલડીના એક યુવકનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. મૃતક યુવતી છેલ્લે આ યુવાન સાથે જોવા મળી હોવાની માહિતી સામે આવતા વિવાદ વધુ વકર્યો છે. સ્થાનિકો અને સમાજના આગેવાનોને શંકા છે કે જો આ મામલાની નિષ્પક્ષ અને સઘન તપાસ કરવામાં આવે તો કોઈ મોટું ષડયંત્ર બહાર આવી શકે તેમ છે. યુવતી સાથે કોઈ અત્યંત ખરાબ ઘટના ઘટ્યા બાદ પુરાવા નાશ કરવા તેની ઘાતકી હત્યા કરી હોવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દર્દનાક ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે આક્રોશ છે. પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોલીસની કામગીરી પર સીધા સવાલો ઉઠાવ્યા છે અને દીકરીની હત્યા થઈ હોવા છતાં ફરિયાદ ન લેવાતી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાએ રાજકીય અને સામાજિક આગેવાનોની નિષ્ક્રિયતા પર પણ સવાલિયા નિશાન ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું નેતાઓને માત્ર ચૂંટણી સમયે જ સમાજની દીકરીઓની ચિંતા થાય છે? આજે એક પાટીદાર દીકરી સાથે બનેલી આ ઘટના ભવિષ્યમાં અન્ય કોઈ પણ સમાજની દીકરી સાથે બની શકે છે. ત્યારે એક લાચાર વિધવા માતાની દીકરીને ન્યાય મળશે કે કેમ, અને શું સામાન્ય માનવીને ન્યાય મેળવવા માટે માત્ર આંદોલનો જ કરવા પડશે? તેવા વેધક સવાલો હાલ પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે.





