ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાકોર મંદિર કમિટી દ્વારા વિવિધ મનોરથ અને ધજા ચડાવવાના ભાવમાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા દરો લાગુ થવાને કારણે હવે સામાન્ય અને આર્થિક રીતે મધ્યમ વર્ગના ભક્તો માટે મનોરથ કરાવવો મોંઘો સાબિત થશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, વિવિધ સેવાઓના દરોમાં 2 થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભક્તોમાં અત્યંત લોકપ્રિય એવા રાજભોગ મનોરથ, તુલસી વિવાહ અને ધજા આરોહણના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ જે મનોરથના ભાવ સસ્તા હતા, તેમાં સીધો ડબલ કે તેથી વધુનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક ભક્તોનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં મંદિરના વહીવટી ખર્ચને પહોંચી વળવા આ વધારો જરૂરી હોઈ શકે છે, પરંતુ મોટાભાગના ભક્તોમાં અસંતોષની લાગણી છે. શ્રદ્ધાળુઓ માને છે કે ભગવાનની ભક્તિ અને સેવામાં આટલો મોટો આર્થિક બોજ વધારવો એ યોગ્ય નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ભક્તો જે વર્ષોથી માનતા પૂરી કરવા ડાકોર આવે છે, તેમના માટે આ ભાવ વધારો ચિંતાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ નવા દરોને કારણે ભક્તોની સંખ્યા અથવા મનોરથ નોંધણી પર કેવી અસર પડે છે તે જોવું રહ્યું.





