શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી સુચના ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ :- રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી. રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.






