વડાપ્રધાન દાહોદથી રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે

‘મેઇક ઇન ઇન્ડિયા’ હેઠળ કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર : રૂ.181 કરોડના ખર્ચે 193 ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 26 અને 27 મે દરમિયાન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત અંતર્ગત, વડાપ્રધાન દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ. 24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે મધ્ય ગુજરાતના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
રેલવે ક્ષેત્રે ઐતિહાસિક લોકાર્પણ અને ખાતમુહૂર્ત :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરશે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ હેઠળ તૈયાર થયેલું આ રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે. અહીં નિર્મિત 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન વડાપ્રધાન દ્વારા દેશને સમર્પિત કરાશે. આ એન્જિન 4600 ટન કાર્ગોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને આગામી 10 વર્ષમાં આવા 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.વડાપ્રધાન રેલવેના કુલ રૂ. 23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. તેમાં આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ. 2,287 કરોડના કામોનો સમાવેશ થાય છે. દાહોદ વર્કશોપમાં બનેલા ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ફ્લેગ ઓફ, અમદાવાદ (સાબરમતી) થી વેરાવળ (સોમનાથ) વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ, વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન સેવા અને કલોલ-કટોસણ વિભાગમાં ફ્રેઈટ ટ્રેનનો શુભારંભ પણ વડાપ્રધાનના હસ્તે થશે.
પાણી પુરવઠાની ચાર યોજનાઓથી 193 ગામોને ફાયદો :
મહીસાગર અને દાહોદ જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વડાપ્રધાન ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. આ યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.આ યોજનાઓમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ₹49 કરોડના ખર્ચે નિર્મિત નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો સહિત કુલ 39 ગામોની 1.01 લાખ વસ્તી), રૂ.70 કરોડના ખર્ચે નિર્મિત ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ 51 ગામો અને વીરપુર શહેરની 1.16 લાખ વસ્તી), રૂ.33 કરોડના ખર્ચે નિર્મિત ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 ગામોની 83 હજારથી વધુ વસ્તી), અને રૂ.29 કરોડના ખર્ચે નિર્મિત ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની વસ્તી) નો સમાવેશ થાય છે.
અન્ય વિકાસ કામો અને ખાતમુહૂર્ત :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના રૂ.233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે. આ ઉપરાંત, પોલીસ હાઉસિંગના રૂ.53 કરોડના કામોનું લોકાર્પણ પણ થશે.
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ-સાધલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજ સહિત કુલ રૂ.581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.26 કરોડના કામો અને છોટાઉદેપુર જિલ્લામાં રૂ.26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ રૂ.73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થશે. આમ, કુલ રૂ.706 કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
ટેગ્સ:#Economic Growth#development projects#Make in India initiative#Foundation Stone Laying#Dahod District#Clean Drinking Water#Prime Minister Visit#Gujarat Infrastructure#Railway Development#Water Supply Schemes#Central Gujarat#Public Amenities#Employment Generation#Kharod Inauguration#Railway Production Unit
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
4 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
5 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
5 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
6 દિવસ પહેલા
