રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું:- મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાંધ્યો હતો. મંત્રીએ ભાભર સ્થિત મીઠા સબ હેડ વર્ક્સની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢ બ્રાંચ કેનાલ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું છે. રાજ્યમાં કેચ ધ રેઈન, સુજલામ સુફલામ્ સહિત ભૂગર્ભ જળને ઊંચા લાવવા જળ અભિયાનને લગતા અનેક કાર્યો થઈ રહ્યા છે.
ઉનાળાની ગરમીમાં કોઈપણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. દિયોદર, ભાભર સહિતના સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય તો ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કામો ચાલી રહ્યા છે. મીઠા ખાતે મંત્રીએ વડાણા, ખારા, કુંવાળા, સનેસડા વગેરે ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે, જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ના પહોંચતું હોય ત્યાં ટેન્કર, નવીન બોર ઊભા કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મીઠા સબ હેડ વર્ક્સ એ નર્મદા કેનાલ આધારિત બીકે ૪ ફેઝ ૩બી જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે. આ સેન્ટર ખાતે ૧૦ લાખ લિટર ક્ષમતાનો ૧ ભૂગર્ભ સંપ તથા ૧૦ લાખ લિટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે. આ સેન્ટર ખાતેથી ૧૧ ગામોની ૨૬ હજારથી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે.


