૭૩ ગામોના મુસાફરો અને ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશન નો લાભ મળશે
મુસાફરોને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે : સાંસદ
પાટણના સરસ્વતી ખાતે અંદાજીત રૂ.3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન બસ સ્ટેશનનું ગુરુવારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાંસદ અને ધારાસભ્ય એ નવીન બસસ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ ભરતસિંહ ડાભી એ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે, મુસાફર જનતાને સારી સુવિધા યુક્ત બસો અને સુવિધા યુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે, ગ્રાહક ભગવાન છે, તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે. નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા તેઓએ અપીલ કરી હતી.

