ભાભર તાલુકાના અનેક ગામોના તૂટેલા રસ્તાથી લોકો પારાવાર હાલાકીઓ વેઠી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સ્થાનિક આગેવાનોની નિષ્ર્કીયતા તેમજ રાજકીય કિન્નાખોરીના કારણે ગામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ભાભર – રાધનપુર જતા નેશનલ હાઇવે ઉપર ભાભર તાલુકાના રોયટા ગામનુ સ્ટેન્ડ આવેલુ છે. ત્યાંથી રોયટા ગામ ત્રણેક કીલોમીટર અંતરે અંદર આવેલુ ગામ છે. બસ સ્ટેન્ડથી ગામ દુર હોઇ મુસાફરો તથા ગામજનોને નાના મોટા વાહનનો ફરજીયાત ઉપયોગ કરવો પડે છે.
રોયટા ગામ જવા માટે ત્રણ કીલોમીટરના ડામર રોડ ઉપર ગાંડા બાવળોના ઝુંડ આવેલા છે અને જર્જરીત હાલતમાં ખાડા પડી ગયેલો હોવાથી લોકો પરેશાન થતાં જોવા મળે છે.વર્ષો જુનો રસ્તો હલકા માલ સામાનથી બનેલો હોઇ રોડ ખરાબ થઈ ગયો હતો. જવાબદાર તંત્ર દ્વારા રોયટા ગામ માટે ભેદભાવ રાખતા હોવાનો ગામલોકોનો આક્ષેપ છે. તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવેથી રોયટા ગામ સુધીનો ડામર રોડ પેવર કરવાની લોક માંગ ઉઠી રહી છે.
દર્શનાર્થીઓ પણ પરેશાન
રોયટા ગામે ખેતરપાળ દાદાનુ પ્રખ્યાત મંદિર આવેલું હોવાથી દર પુનમે હજારો દર્શનાર્થીઓ દાદાના દર્શનાથે આવે છે. પણ રોડ જર્જરિત હાલતમાં હોવાથી ભારે હાલાકી ભોગવી દર્શન કરવા માટે જાય છે. ત્યારે ભાવીકોની માંગ છે કે, જવાબદાર તંત્ર દ્રારા રોયટા ગામનો રોડ પહોળો અને મજબૂત બનાવવામાં આવે.


