વડનગર વાસીઓએ પીઆઈની બદલીની માંગ કરી; મહેસાણા જિલ્લો હવે ગાંધીના ગુજરાત માંથી સંપૂર્ણપણે બાકાત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે. જિલ્લાનું એક પણ ગામ કે શહેર એવું નથી કે જ્યાં પોલીસની દયા દ્રષ્ટિ હેઠળ ગુનાહિત અને અસામાજિક પ્રવૃતિઓ બેરોકટોક ખુલ્લેઆમ ન ચાલતી હોય. મહેસાણા જિલ્લા પોલીસ ટાર્ગેટ પુરો કરવામાં વ્યસ્ત હોવાથી બુટલેગરો ધંધો કરવામાં મસ્ત બની ગયા છે જેના લીધે અસામાજિક પ્રવૃત્તિઓથી જિલ્લા પોલીસ સંપૂર્ણપણે અજાણ હોઈ જિલ્લા પોલીસને ખ્યાલ જ નથી કે જિલ્લાના ક્યાં શહેર અને ક્યાં ગામમાં શું ચાલી રહ્યું છે.
મહેસાણા જિલ્લા પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓથી સદંતર અજાણ હોઈ રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લાના વિવિધ શહેરો અને ગામડાંઓમાં રેડ પાડી આવા અસામાજિક પ્રવૃતિઓ કરનારા તત્વોને મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં એસએમસીની ઝુંબેશમાં વડનગરની હદમાંથી એનડીપીએસની રેડ કરી 17 કિલો ગાંજા સાથે એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 16 અને 17 મેંના રોજ એસએમસીની રેડ દરમિયાન રાજ્ય મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા 17 કિલો 383 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત 1,73,830/- રૂપિયા સહિત રૂ.500 ની કિંમતનો મોબાઈલ અને રૂ.50000 ની કિંમતની રીક્ષા સાથે કુલ રૂ. 2,24,330/- રૂપિયા મુદ્દામાલ સાથે બાબુશા હુસેનશા ફકીર ઉ.વ- 61, રહે- વડનગરી દરવાજા બહર, મસ્તાન નગર, તા-વિસનગર, જિ.મહેસાણાને સિપોર ગામથી વડનગર જતા રોડ ઉપર, મેટ્રો સુપર માર્કેટની સામે, બાદરપુર ગામ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે.
જ્યારે સાહિદ મોહમદ રફિક મોહમદ શેખ રહે- કોટા છાવણી, જિ.ઉદયપુર, રાજસ્થાન (ગાંજાનો જાથો મોકલનાર), સાહિદ મોહમદ રફિક મોહમદ શેખ કોઈ માણસ,(ગાંજો મંગાવનાર) તેમજ સબ્બીર દિલાવરખાન પઠાણ રહે-ખોરાજગામ અમદાવાદ(ગાંજો મંગાવનાર) ચારેય વ્યક્તિઓને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત આરોપી વ્યક્તિ ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતો હોઈ તેના વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે સીઆર નંબર 11197014202815/2020, એનડીપીએસ એક્ટ: 8 (સી), 22 (બી) (2) (બી), 29) ગુનો નોંધાયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસએમસીના પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ દ્વારા પાડવામાં આવેલી આ રેડ જેમાં 17 કિલો ગાંજો રિક્ષામાં લઈ જતા શખ્સને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લઈ એસએમસી પીઆઈએ વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિચારવાનું એ રહ્યું કે વારંવાર જો એસએમસીની ટીમ દ્વારા જ ગુનાહિત અને અસામાજિક પ્રવૃતિઓ કરનારા લોકોને રેડ કરી પકડી પાડવામાં આવતા હોય તો મહેસાણા જિલ્લાની સ્થાનિક પોલીસની કામગીરી કેવી છે તેનો ખ્યાલ આવી શકે છે. અત્રે અતિ મહત્વની વાત એ છે કે મહેસાણા જિલ્લા પોલીસની હદમાં આવતા અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હવે એસએમસીના રડારમાં આવી ગયા છે. તો બીજી તરફ ઐતિહાસિક મહત્વ ધરાવતા વડનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ વધવા પાછળ ત્યાંની સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવી વડનગર વાસીઓએ પીઆઈની બદલીની માંગ કરી છે.

