જીવદયા અને ગૌ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી છવાઈ; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેવીનો દરજ્જો ધરાવતી અબોલ ગાય માતાઓ અને ગૌવંશ ઉપર હિંસક હુમલાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થવા પામ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં થરાદ- ડીસા હાઇવે ઉપર એસિડ હુમલાથી કણસતી હાલતમાં એક આખલો મળી આવ્યો હતો. જેથી દોડી આવેલી ગૌસેવા ટીમે મહા મહેનતે આખલાને કાબુમાં લઈ સારવાર અર્થે ખસેડયો હતો.બનાવના પગલે જીવદયા અને ગૌ પ્રેમીઓની લાગણી ઘવાઇ છે.
થરાદ- ડીસા હાઇવે ઉપર એસિડ હુમલામાં ગંભીર હદે ઘવાઈને રીબાતા આખલાની જાણ થતાં ગૌસેવા ટીમ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આખલાને બાંધીને સારવાર અર્થે ખસેડયો હતો.પરંતુ માતાનો દરજ્જો ધરાવતી ગાયો અને ગૌવંશ ઉપર હુમલાના વધી પડેલા બનાવોથી જીવદયા અને ગૌ પ્રેમીઓની આંતરડી કકળી ઉઠી હતી. તેથી અબોલ જીવો ઉપર હુમલા કરતા પાપીઓને ખુલ્લા પાડવા કાર્યકરોએ આગથળા પોલીસ મથકે લેખિતમાં જાણ કરી આખલા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

