સમગ્ર દેશમાં જયારે શ્રાવણી પૂનમે “રક્ષા બંધન”નો તહેવાર ઉજવાય છે. ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર નામનું એક એવું ગામ આવેલું છે. જ્યાં વર્ષોજૂની પરંપરા મુજબ આજે પણ “રક્ષાબંધન” પર્વની ઉજવણી પૂનમના આગલા દિવસે કરવામાં આવે છે.
નારિયેળી પૂનમ એટલે કે, “બળેવ”ના દિવસે ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક સમા “રક્ષાબંધન” નું પર્વ ઉમંગભેર ઉજવાય છે. ત્યારે આજના હાઈટેક યુગમાં પણ વર્ષોજૂની માન્યતાને આધારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં “રક્ષાબંધન” પર્વની ઉજવણી બળેવના આગલા દિવસે કરવામાં આવે છે. કહેવાય છે કે, વર્ષો પૂર્વે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે પંડિતો એ બળેવના આગલા દિવસે ગામની કુવાસીઓને બોલાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાથી માતાજીનો કોપ ઉતરી જશે. તેવી સલાહ આપી હતી. જે પ્રથા આજે પણ બરકરાર રહી હોવાનું ચડોતર ગામના મહારાજ કાંતિલાલ રાવલે જણાવ્યું હતું.
જોકે, માતાજીના કોપ રૂપે ચાલી આવતી પ્રથા ગામની પુત્રવધુઓ માટે ખુશી આપનારી બની રહી છે. બળેવના આગલા દિવસે સાસરિયામાં અને બળેવના દિવસે પિયરમાં સહ પરિવાર રક્ષાબંધન ની ઉજવણી કરવાનો તેઓને લ્હાવો મળતો હોવાનું અલ્પાબેન અને દ્રષ્ટિ સોનીએ જણાવ્યું હતું. આમ, આજના ઇન્ટરનેટ અને હાઇટેક્નોલોજીના યુગમાં પણ લોકોનો ધાર્મિક માન્યતાઓ પરનો વિશ્વાસ ડગ્યો નથી. જે ચડોતર ગામના ગ્રામજનો પુરવાર કરી રહ્યા છે.

