કોલેજો સર્ટિફિકેટ નહીં લઈ જાય,તો આ મામલો સત્તા મંડળમાં મૂકી તેમની સામે કડક કાર્યવાહી કરાશે
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 60 જેટલી કોલેજોના સંચાલકોની આળસ અને બેદરકારીના કારણે યુનિવર્સિટીના વહીવટી ભવનના રૂમ નં.101 માં ઓકટો 2022થી માર્ચ 2024 સુધીના પ્રિન્ટિંગ થયેલ અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ પર ધૂળની ડમરીઓ ચડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ યુનિવર્સિટી માત્ર કોલેજોનેજ સર્ટિફિકેટ સોંપે છે,પરંતુ કોલેજો આ સર્ટિફિકેટ લેવા યુનિવર્સિટી સુધી આવવાની તસ્દી લેતી ન હોવાના કારણે આજે વર્ષની મહેનત કરી હજારો રૂપિયા ખર્ચીને ભણ્યા બાદ પણ છાત્રો પોતાની ડિગ્રી વગર રઝળી પડ્યા છે.ડિગ્રી સર્ટિફિકેટ ન મળવાથી છાત્રોને ઉચ્ચઅભ્યાસ અને વિદેશ જવા માટે એડમિશન મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. સરકારી કે ખાનગી નોકરીના વેરિફિકેશનમાં ડિગ્રી વગર ઉમેદવારી રદ થવાનું જોખમ રહે છે.
આ ઉપરાંત, પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટેના રજીસ્ટ્રેશનમાં વિલંબ થતા તેમના કેરિયર અટકી પડ્યા હોવાનો છાત્રો રોષ વ્યક્ત કરી રહ્યા છે.આ મામલે યુનિવર્સિટી ના પરીક્ષા નિયામકને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે વેબસાઈટ ઉપર યાદી જાહેર કરી છે. અને કોલેજોને પત્ર વ્યવહાર પણ કર્યા હોવા છતાં કોલેજ સંચાલકો દ્રારા આ ડીગ્રીઓ લેવા આવતાં ન હોય હવે ફરી એકવાર તમામ કોલેજોને ફોન કરીને સર્ટિ લઈ જવા સૂચના આપવામાં આવશે.છતાં પણ કોલેજો સર્ટિફિકેટ નહીં લઈ જાય, તો આ મામલો સત્તા મંડળમાં મૂકી તેમની સામે કડક કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.

