પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો શરૂ કર્યો છે. તા.14 જુલાઈથી શરૂ થયેલા જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ 21 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે.ધોરણ 12 ની પૂરક પરીક્ષા માં પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી જીકાસમાં ફોર્મ ભર્યું નથી, તેઓ આ તકનો લાભ લઈ શકશે. વધુમા જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યું છે અને કૉલેજ બદલવા ઇચ્છે છે અથવા પ્રવેશ લીધો નથી, તેઓ પણ અરજી કરી શકે છે.યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાએ 60 હજાર બેઠકો માટે અત્યાર સુધીમાં 15 રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં 44,454 વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવ્યો છે. અનુસ્નાતક કક્ષાએ 25,000 બેઠકો માટે પ્રથમ રાઉન્ડમાં 10,479 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
જીકાસ કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્રભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા બાદ કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવું આવશ્યક છે. દરેક કોલેજમાં વિદ્યાર્થીઓની સહાય માટે હેલ્પ સેન્ટર્સ ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષથી રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોમાં જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત કરી છે. કુલ મળીને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 54,933 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

