મનપા દ્વારા સુવિધા નહીં અપાય તો આંદોલનની ચીમકી; મહેસાણા મહાનગરપાલિકાના વિકાસના નામે ચાલતી કામગીરીઓથી શહેરના નાગરિકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ખાસ કરીને, શહેરના પોષ વિસ્તાર તરીકે ઓળખાતા 52 નેળિયા સ્ટ્રીટ લિંક રોડ પર ગટરની કામગીરીના નામે રોડની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે, રહેવાસીઓ, વૃદ્ધો અને બાળકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓની પોલ ખોલે છે.
મનપાનું તંત્ર વિકાસના નામે વિનાશ નોતરી રહ્યું હોય તેમ ગટર નાખવાની કામગીરીના બહાને લિંક રોડ પર રોજ ડમ્પર, જેસીબી અને ક્રેનની અવરજવર ચાલુ છે. આ કામગીરીથી રોડ ઉખડીને દબાઈ ગયો છે, અને ખાડાઓથી ભરેલો આ રોડ ત્યાંથી પાસએ થતા નાગરિકો માટે જોખમી બન્યો છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાતાં આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે કોઈ મોટા અકસ્માતની શક્યતા ઉભી થઈ છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “પાલિકાની આ અણઆયોજિત કામગીરીથી અમારું જીવન દુષ્કર બન્યું છે. બાળકો અને વૃદ્ધોને રોજ આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે, જે ખૂબ જોખમી છે.”
ત્યારે જનમંચના અધ્યક્ષ પાર્થ રાવલે તંત્ર પર આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મહેસાણા મહાનગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ લિંક રોડ જેવા મહત્વના વિસ્તારમાં ગટરની કામગીરીના નામે રોડની દુર્દશા કરી નાખી છે. આવી અધૂરી અને અણઆયોજિત કામગીરીથી શું નાગરિકોનું ભલું થશે? પાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જોવે છે?” તેમણે વધુમાં ઉમેર્યું કે, “નાગરિકોના ટેક્સના પૈસાથી ચાલતી આ સંસ્થા પ્રજાની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.”
ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને જનમંચ દ્વારા મહાનગરપાલિકા પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. રોડની તાત્કાલિક સમારકામ, ગટરની કામગીરી પૂર્ણ કરવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની માંગ ઉઠી છે. પાર્થ રાવલે કમિશનરને આપેલા પુરાવાઓમાં ખરાબ રોડની તસવીરો, ગટરની અધૂરી કામગીરીના દસ્તાવેજો અને સ્થાનિક લોકોની ફરિયાદોનો સમાવેશ થાય છે. તેમણે ચેતવણી આપી કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો જનમંચ આ મુદ્દે વધુ આકરું વલણ અપનાવી આંદોલનનો માર્ગ અપનાવશે.

