બાજરીનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો; ડીસા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલા વરસાદથી ગરમીથી અકળાઈને અગાસીમાં સૂતેલા લોકોમાં પણ દોડધામ મચી હતી. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભય વચ્ચે વરસાદ અને આંધીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. તૈયાર થયેલા ટેટી અને તરબૂચના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, ખેતરોમાં ઊભો બાજરીનો પાક પણ જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. વરસાદના કારણે ડીસાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓ અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોમાં ભય અને ચિંતા; ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. લોકો કુદરતી આફત અને યુદ્ધના ભય વચ્ચે અટવાયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

