ન્યુ એસ.ટી.બસપોર્ટમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા વેપારીઓએ જતાવ્યો વિરોધ

ન્યુ એસ.ટી.બસપોર્ટમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા વેપારીઓએ જતાવ્યો વિરોધ

વેપારીઓએ બંધ પાળી કલેકટરને આપ્યું આવેદનપત્ર

મેઇન્ટનન્સના નામે કરોડોની ઉઘરાણી છતાં સુવિધાઓના નામે મીંડુ; પાલનપુરનું નવલું નજરાણું ગણાવાતું હતું તે ન્યુ એસ.ટી.બસ પોર્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. બસ પોર્ટના મેઇન્ટેન્સના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણુ કરવા છતાં પાણી, લાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાની રાડ ઉઠી છે. ત્યારે આજે વેપારીઓએ બંધ પાળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાલનપુર ન્યુ એસ.ટી.બસ પોર્ટના બિલ્ડરો દ્વારા વેપારીઓ પાસેથી મેઇન્ટન્સના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણુ કરાયું છે. જોકે, લાઈટ, પાણી, પાર્કિંગ, લિફ્ટ અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાનું વેપારીઓએ જણાવી રહ્યા છે. બસ પોર્ટમાં પોલીસ ચોકી બંધ હાલતમાં છે. પૂરતી સિક્યુરિટી ન હોઈ લુખ્ખા તત્વો છાશવારે લુખ્ખાગીરી પર ઉતરી આવે છે. જેને કારણે વેપારીમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. કોલેજીયન યુવક યુવતીઓના લવર પોઇન્ટ સમાં બસ પોર્ટમાં કોઈ સુવિધાઓ મળતી ન હોઈ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે બસપોર્ટના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં વેપારીઓએ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં બસ પોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે સફાઈ , પાણી, પાર્કિંગ, લાઈટ અને લિફ્ટ ની કાયમી વ્યવસ્થા મળી રહે તેવી માંગ કરી હતી. જેમાં બિલ્ડરો દ્વારા મેઇન્ટન્સ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપો સાથે વેપારી ઓએ ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરક્ષાના નામે મીંડુ: અસામાજિક તત્વો બેફામ; પાલનપુર ન્યુ એસ.ટી.બસપોર્ટ પર અસામાજિક તત્વો અડિંગો જમાવી બેસી રહે છે. સમયાંતરે મારામારીના બનાવો સામાન્ય બનતા જાય છે. બસ પોર્ટનો ઉપર નો માળ તો ડ્રગ્સ લેતા નસેડીઓ અને કોલેજીયન યુવક યુવતીઓ માટેનો લવર પોઇન્ટ બની ગયો હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. જિલ્લા પોલીસ વડાએ મોટા ઉપાડે બસપોર્ટમાં બબ્બે વાર શરૂ કરેલી પોલીસ ચોકીઓ બંધ હોઈ શોભાના ગાંઠિયા સમી પુરવાર થઇ છે. જ્યારે બસ પોર્ટ ના સંચાલક દ્વારા સિક્યુરિટી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઘટાડવામાં આવી રહી છે. ત્યારે અસામાજિક તત્વો બેખોફ બનતા કરોડો રૂપિયાનું રોકાણ કરી દુકાનો ખરીદનારા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે, ન્યાય નહિ મળે તો વેપારીઓએ બસપોર્ટ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો સામે પગલાં ભરશે કે કેમ? તે તો સમય જ બતાવશે..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *