​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

વરસાદી પાણીના યોગ્ય નિકાલની ઉગ્ર માંગ ઉઠી; ડીસા શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બની છે. આ વિસ્તારમાં અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દર વર્ષે ચોમાસામાં જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે. આ પાણી કલાકો સુધી ભરાયેલું રહે છે, જેના કારણે વાહનોની અવરજવરમાં મોટી અડચણ ઊભી થાય છે. ખાસ કરીને ભારે વાહનો અને ટ્રકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, ભરાયેલા પાણીથી વેપારીઓના માલસામાનને નુકસાન થવાનો ભય પણ રહે છે. વરસાદી પાણી ભરાવાને કારણે રોડ-રસ્તા પણ જર્જરિત થઈ રહ્યા છે, જે અકસ્માતનું કારણ બની શકે છે.

સ્થાનિક ઉદ્યોગકારો અને કામદારો દ્વારા આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જીઆઈડીસીના સંચાલકો કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓની માગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓનો અંત આવે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુચારુરૂપે ચાલી શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *