બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો પણ સિંચાઇ માટે અપૂરતો

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો પણ સિંચાઇ માટે અપૂરતો

દાંતીવાડા ડેમમાં પાણીનો માત્ર ૧૧.૪૭ ટકા જથ્થો

સિંચાઈના પાણી વગર ભૂગર્ભ જળમાં ઉત્તરોત્તર ઘટાડાથી ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી

રાજ્ય સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ગરમીને લઈ પશુ પક્ષીઓ સહીત માનવ જીવન પ્રભાવિત થવા પામ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં હજી પણ બે વર્ષ સુધી ચાલે તેટલો પિવાના પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત છે.પણ સિંચાઈ માટે અપૂરતો છે. સિંચાઈ માટે પાણી ન મળતા ભૂગર્ભ જળ પુરવઠો ઉત્તરોતર ઘટી રહ્યો છે. તેથી ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બનવા પામી છે.

સિંચાઈ વિભાગ હસ્તકના દાંતીવાડા ડેમના નિવૃત્ત અધિકારી અને હાલમાં સેવા ફરજ બજાવતા કર્મચારીના જણાવ્યા અનુસાર દાંતીવાડા ડેમમા હાલની સ્થિતિએ ૫૫૬.૯૦ ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત છે. એટલે કે ૧૧.૪૭ ટકા જેટલું પાણી સંગ્રહિત છે. જ્યારે ડેમની ફૂલ સપાટી ૬૦૪. ફૂટ છે. જે સંગ્રહિત પાણીનો જથ્થો અંદાજે બે વર્ષ સુધી પીવા માટે ચાલી શકે તેમ છે. પણ સિંચાઇ માટે અપૂરતું પાણી છે. તેથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.તેમ તેમણે જણાવ્યું હતું. બનાસકાંઠા જીલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર જીલ્લો છે. જિલ્લામાં દર વર્ષે નહિવત્ વરસાદને લઈ પાણીના ભૂગર્ભ તળ ઉંડા જતાં ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. અને ભારે ખર્ચ કરીને બોરવેલ કરવા પડે છે છતાં નહિવત પાણી મળતું હોય છે. જો ડેમમાંથી કેનાલો મારફતે પાણી છોડાય તો ભૂગર્ભ તળ જળવાઈ રહે તેમ છે પણ ડેમમાં અપૂરતા પાણીથી કેનાલો કોરીધાકોર છે. તેથી પાણી વગર ખેડૂતો ઉનાળુ સિઝન લઈ શકે તેમ નથી. એટલું જ નહીં, ઘાસચારા વગર પશુઓને જીવાડવા પશુપાલકો માટે મુશ્કેલ બની ગયું છે. તેથી ઉનાળો આકરો નિવડવાના એંધાણ વચ્ચે ખેડૂતો સાથે પશુપાલકોની હાલત પણ કફોડી બનવા પામી છે.

સરકારની દાનત સામે બનાસવાસીઓમાં સવાલો; દાંતીવાડા ડેમમાંથી બનાસકાંઠા, સિદ્ધપુર અને પાટણ જિલ્લાના ગામડાઓમાં કેનાલો મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પણ દર વર્ષે અપૂરતા અને નહીવત વરસાદના કારણે ડેમ ભરાતો નથી.જેથી ડેમ નર્મદાના નીરથી ભરવાની ઉઠેલી રજૂઆતોના પગલે અગાઉ રાજ્ય સરકારે કાંકરેજથી ડેમ સુધી પાઇપલાઇન નાખી હતી પણ ડેમમાં પાણી આવ્યું નહતું.ત્યારબાદ હાલમાં ફરી કરોડોના ખર્ચે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે પણ ડેમમાં પાણી નાખવામાં આવતું નથી.જેને લઈ સરકારની દાનત સામે બનાસ વાસીઓમાં સવાલો ઉઠવા પામ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *