ડીસા તાલુકાના શેરપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો મચ્યો હતો. મંડળીના મંત્રી અને ચેરમેન દ્વારા ચલાવવામાં આવતી મનમાની અને ગેરવહીવટથી નારાજ પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સભામાં સંતોષકારક જવાબ ન મળતાં, પશુપાલકોએ ફરીથી સાધારણ સભા યોજવાની માંગ કરી છે અને જ્યાં સુધી આ માંગ પૂરી નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે મંડળીના મંત્રી અને ચેરમેન છેલ્લા ઘણા સમયથી મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે. દૂધના ભાવ, વજનમાં ગેરરીતિ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો પશુપાલકોનો દાવો છે. તેમણે જણાવ્યું કે મંડળીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પશુપાલકોના હિતોને અવગણવામાં આવી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં, કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.પશુપાલકોએ આ સમગ્ર મામલે બનાસ ડેરીના ચેરમેન સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે, આ રજૂઆત પછી પણ મંત્રી અને ચેરમેનની મનમાની યથાવત રહી હોવાનું પશુપાલકોએ જણાવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, પશુપાલકોમાં રોષ વધુ ઘેરો બન્યો છે.
સાધારણ સભામાં પશુપાલકોએ ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ મંત્રી અને ચેરમેન તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં સભામાં તણાવ વધ્યો હતો. પશુપાલકોએ સ્પષ્ટપણે માંગ કરી છે કે જ્યાં સુધી નવી સાધારણ સભાનું આયોજન ન થાય અને તેમાં તેમના પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.પશુપાલકોની મુખ્ય માંગણીઓમાં મંડળીના તમામ હિસાબોની સઘન તપાસ થવી જોઈએ.દૂધના ભાવ અને વજનમાં પારદર્શિતા લાવવામાં આવે,મનસ્વી વહીવટ બંધ કરી, નિયમાનુસાર કામગીરી થાય,નવી સાધારણ સભા બોલાવી, પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તે છે.આ સમગ્ર મામલે જિલ્લાના સહકારી વિભાગ અને બનાસ ડેરીના અધિકારીઓ કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું. જો પશુપાલકોની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે.

