આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર યોજાનાર છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણની પ્રેરણા તથા નિયામક વિદ્યાર્થી કલ્યાણના માર્ગદર્શન હેઠળ “વોકલ ફોર લોકલ” (સ્વદેશી અપનાવ, દેશને બચાવ) અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવા, સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં વિદેશી વસ્તુઓના બહિષ્કાર અંગે જનજાગૃતિ લાવવાનો હતો. ડૉ. ચૌહાણએ વિદ્યાર્થીઓને ૮ ઓગસ્ટ, ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનના ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આર્થિક વિકાસ માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહવાન કરેલ અને સાથોસાથ રાષ્ટ્ર ભાવના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. આ રેલીમાં યુનિવર્સિટીના વિવિધ મહાવિદ્યાલયો તથા સરદાર કૃષિનગર વિદ્યાલયના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું સમગ્ર આયોજન નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું.

