અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો શુભારંભ : ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’ અભિયાન વડાપ્રધાન મોદીએ ૫ જૂન ૨૦૨૪ના રોજ શરૂ કર્યું હતું, જે એક વ્યાપક જન આંદોલન બની ગયું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૦૯ કરોડ વૃક્ષો રોપવામાં આવ્યા છે. ૨૦૨૫માં આ અભિયાનને વધુ ગતિ આપવાનો નિર્ણય લેવાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે દિલ્હીના મહાવીર જયંતી પાર્કમાં વૃક્ષારોપણ કરીને ‘એક વૃક્ષ માતાના નામ ૨૦૨૫’ અભિયાનની શરૂઆત કરશે. આ પ્રસંગે ગુજરાત, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી આ અભિયાનમાં સામેલ થશે. આ સાથે, વડાપ્રધાન અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો પણ શુભારંભ કરશે, જેનો ઉદ્દેશ્ય અરાવલી પર્વતમાળા સાથે લીલોછમ પટ્ટો ઊભો કરીને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.
‘એક વૃક્ષ માતાના નામ’ની સફળતા: ‘એક વૃક્ષ માતાના નામ’ અભિયાન વડાપ્રધાન શ્રી મોદીએ ૫ જૂન ૨૦૨૪ના રોજ શરૂ કર્યું હતું, જે એક વ્યાપક જન આંદોલન બની ગયું છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૦૯ કરોડ વૃક્ષો રોપવામાં આવ્યા છે. ૨૦૨૫માં આ અભિયાનને વધુ ગતિ આપવાનો નિર્ણય લેવાયો છે. આ અભિયાન હેઠળ લોકોને તેમની માતાના નામે વૃક્ષ રોપવા અને તેની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી પર્યાવરણ સંરક્ષણ સાથે ભાવનાત્મક જોડાણ પણ સ્થાપિત થાય છે.આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારે સ્થાનિક સમુદાયો, શૈક્ષણિક સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનોને સામેલ કરવાની યોજના બનાવી છે. પર્યાવરણ મંત્રાલયે લોકોને આ અભિયાનમાં જોડાવા અને વૃક્ષોની સંભાળ રાખવા અપીલ કરી છે. આ બંને પહેલો ભારતના પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે.

