પાટણ ધારાસભ્ય અને સિદ્ધહેમ ફાઉન્ડેશન દ્વારા નવા બસ સ્ટેન્ડ શરૂ કરવા રજૂઆત કરી
પાટણનું નવનિર્મિત બસ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ અને સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલે પાટણના નવા બસ સ્ટેશનને તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી હતી. સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશનના પ્રમુખ અશોક રાવલે પણ આ મુદ્દે ધારાસભ્ય સાથે ચર્ચા કરી હતી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.ફાઉન્ડેશન દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ વતી બિન-રાજકીય રીતે પ્રજાલક્ષી કામો માટે શહેરી વિકાસ કમિશનર, ગાંધીનગરને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. તો ગાંધીનગર ખાતે પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ સાથે ચર્ચા કરી હતી. પાટણના નવીન બસસ્ટેન્ડ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટૂંક સમયમાં જ આ નવીન બસ સ્ટેશન શરૂ કરવા માટે સહમતિ દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.

