શહેરમાં મોટા કોમ્પ્લેક્સોના દબાણો દુર કરવા લાચારી બનેલી પાલિકા સોસાયટીના સામાન્ય દબાણ દુર કરવા ‘દબંગગીરી’ પર ઉતરી પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે. એક તરફ શહેરના જાહેર માર્ગો પર નીતિ-નિયમોને નેવે મૂકીને ઉભા કરી દેવાયેલા બિન અધિકૃત શોપિંગ સેન્ટરો અને કોમ્પ્લેક્સો સામે પાલિકા તંત્ર લાચાર બની મૌન સેવી રહ્યું છે, ત્યારે બીજી તરફ સોસાયટીઓ અને નાના વેપારીઓ સામે નગરપાલિકાની દબાણ મામલે આકરી કાર્યવાહીએ વધુ એક વખત વિવાદ સર્જ્યો છે.શહેરના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને RCM (રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ) ના આદેશ છતાં,પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોટા કોમ્પ્લેક્સો અને શોપિંગ સેન્ટરો વિરુદ્ધ દબાણ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
નવા બસ સ્ટેન્ડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો યથાવત છે, જેના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે શુક્રવારે સવારે પાટણના આનંદ સરોવર સામે આવેલી નરનારાયણ સોસાયટીમાં બ્લોક પેવિંગના કામના નિરીક્ષણ દરમિયાન,ચીફ ઓફિસર દ્વારા એક રહેણાંક મકાનનો બીન નડતરરૂપ ઓટલા નું દબાણ તોડવા દબંગગીરી સાથે જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો.
મકાન માલિક જયરાજ મોદીએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના કોમન પ્લોટ અને જાહેર રસ્તા પર અનેક પાકા દબાણો હોવા છતાં માત્ર મારા મકાનના ઓટલા નેજ ચીફ ઓફિસર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તેમણે ચીફ ઓફિસરના વર્તનને મનસ્વી ગણાવી નુકસાન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે જો દબાણ દૂર કરવા હોય તો સમગ્ર સોસાયટીના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે.તો બીજી તરફ સોસાયટીના પ્રમુખ નલિનીબેન માનેએ જણાવ્યું હતું કે, આ ઓટલો જાહેર રસ્તા પર હોવાથી સિનિયર સિટીઝનોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. બ્લોક પેવિંગ દરમિયાન આ નડતરરૂપ દબાણ ચીફ ઓફિસરના ધ્યાને આવતા તેમણે યોગ્ય કાર્યવાહી કરી છે.
ભવિષ્યમાં સોસાયટી ના અન્ય નડતરરૂપ દબાણો પણ દૂર કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા છે કે ચીફ ઓફિસર સોસાયટીઓમાં જઈને ‘દબંગગીરી’ બતાવી રહ્યા છે, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર જે મોટા બિનઅધિકૃત બાંધકામો છે ત્યાં તેમની ‘લાચારી’ કેમ દેખાય છે? પાટણના જાગૃત નાગરિકો હવે એ સવાલ પૂછી રહ્યા છે કે નવા બસ સ્ટેન્ડ પાસેના અને અન્ય શોપિંગ સેન્ટરો સામે દબાણ મામલે કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા ક્યારે કરવામાં આવશે ?

