અધિકારીઓની ગેરહાજરી અને ઉડાઉ જવાબો અંગે ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી; પાટણ કલેકટર કચેરી ખાતે શનિવારે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે અધિકારીઓની ગેરહાજરી અને ઉડાઉ જવાબો અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
સંકલન બેઠકમાં ડો. કિરીટ પટેલના બે મુખ્ય મુદ્દાઓ હતા.જેમાં પ્રથમ મુદ્દો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવની ગેરહાજરી અંગેનો હતો.તેઓએ જણાવ્યું હતુ કે કુલસચિવે ખોટી માહિતી આપી હોવાથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કર્યું કે યુનિવર્સિટી તરફથી કોઈ માહિતી મળી નથી. બીજો મુદ્દો જિલ્લા પોલીસ વડાની ગેરહાજરી અંગેનો હતો. કલેક્ટરે સોમવારે પોલીસ વડાને બોલાવી માહિતી આપવાની ખાતરી આપી છે.
ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ચેતવણી આપી છે કે જો સોમવારે તેમણે માગેલી માહિતી નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે તેઓ ધરણાં કરશે અને ત્યારબાદ ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને મળશે. શનિવારે સંકલન બેઠકમાં કલેક્ટરની ખાતરીને પગલે ધારાસભ્યે આજની પ્રતીક ભૂખ હડતાળ મુલત્વી રાખી હતી. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. કિરીટ પટેલના સમર્થકોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજરી આપી સુત્રોચ્ચાર કયૉ હતા.

