સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે કાર્યરત એન.એસ.એસ. વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ’ થીમ આધારિત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ માટેના અલગ અલગ રોપાઓ અમીરગઢ તાલુકામાં આવેલ રાજપુરીયા ખાતે સ્થિત સેન્ટ્રલ નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા. એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા અદ્યાપકોના સહકાર અને માર્ગદર્શન મુજબ અત્રેની કૉલેજના કેમ્પસમાં સામૂહિક રીતે, ગામલોકોના સાથ-સહકારથી અલગ-અલગ છોડવાઓ તેમજ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જેમાં જાંબુ, આંબો, કરામદા, લીંબુડી, દાડમ જેવાં ફળાઉ વૃક્ષો તથા આંબળા, હરડે, તુલસી, અરડૂસી જેવાં ઔષધિય વૃક્ષો વગેરે ફળાઉ છોડવાઓની રોપણી કરવામાં આવી હતી. ચંપો, જાસૂદ, કરેણ જેવાં ફૂલછોડ પણ રોપવામાં આવ્યા હતાં. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોને ખાતર-પાણી આપવામાં આવ્યું હતું. તદઉપરાંત વિદ્યાર્થીઓ, સ્વયંસેવકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતું પ્રદૂષણ, એનાથી ઉદ્ભવતી હાનિકારક અસરો વિશે, તેના નિયંત્રણ અંગે તેમજ પર્યાવરણની જાળવણી વિષયક ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફમિત્રોએ સાથ અને સહકાર આપી વૃક્ષોનું જતન અને સંરક્ષણ કરવા માટેનો સંકલ્પ લીધો હતો.


