વિજાપુર ટાવર બજારમાં વધી રહેલી ચોરીઓના વિરોધમાં વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ટાવર ચોક બજારમાં કરિયાણા, જ્વેલર્સ, ફરસાણ અને મેડિકલની દુકાનોમાં થયેલી ચોરીઓ બાદ ફરી ચોરો સક્રિય થતાં વેપારીઓએ રેલી યોજી હતી. વેપારીઓએ દિવસ અને રાત્રી દરમિયાન અસામાજિક તત્વોનો વધી રહેલો ત્રાસ રોકવા પોલીસ પોઈન્ટની માંગ કરી છે. સાથે જ રાત્રી સમયે ટાવર ચોક ચબૂતરા આસપાસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરી છે.
ઈન્ચાર્જ પોલીસ અધિકારી અને મામલતદાર શૈલેષસિંહ બારીયાએ વેપારીઓને આશ્વાસન આપ્યું છે. પોલીસે જણાવ્યું કે અગાઉ થયેલી 14 દુકાનોની ચોરીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ફરસાણની દુકાન ધરાવતા નિમેષ સુખડિયાએ જણાવ્યું કે હાલમાં ધોળે દિવસે કેટલાક અસામાજિક તત્વો ધારિયા અને ધોકા સાથે ફરે છે. વેપારીઓને ધમકી આપે છે અને દુકાન આગળ રાખેલી વસ્તુઓ ચોરી જાય છે. અગાઉના ચોરીના બનાવમાં CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. વેપારીઓએ જણાવ્યું કે પહેલા પોલીસ મથક હતું ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હતો. હવે પોલીસ મથક અને સબજેલ બંધ થતાં પોલીસની અવરજવર ઘટી છે, જેના કારણે આવા તત્વોને છૂટો દોર મળ્યો છે.

