બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ રસ્તા, પાણી, કેનાલ સફાઈ, નેશનલ હાઇવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા.
અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, દીયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર,પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.
આ બેઠકમાં સુઈગામ તથા વાવ તાલુકા પંચાયતના નવીન મકાન મંજૂરી બાબત, ટ્રાફિક સમસ્યા નિવારણ, વૃક્ષારોપણની કામગીરી, રોડ રસ્તા અને પાણીની કામગીરી, લાભાર્થીઓની સહાય બાબત, અટલ ભુજલ યોજના હેઠળની કામગીરી, સી.એસ.આર ફંડ બાબતની કામગીરી, નર્મદાના પાણીથી વાવ ભાભર અને સુઇગામ તાલુકાના તળાવ ભરવા અંગેની કામગીરી સહિતના પ્રશ્નો બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


