ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ આવશે તો સંબંધિત અધિકારીઓ સામે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે
પાલિકા ખાતે સાપ્તાહિકી સંકલન બેઠકમાં શહેરના વિકાસ બાબતે વિચાર વિમર્શ કરાયો; પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ગતરોજ પાલિકા ખાતે મળેલી સાપ્તાહિકી સંકલન બેઠકમાં મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રિમોન્સુન કામગીરીમાં બેદરકારી દાખવનાર વોર્ડ ઈન્સ્પેકટર્સ અને શાખાધિકારીઓ સામે કડક પગલાં લેવાશે.તો માખણિયા વિસ્તારમાં કચરાના સેગ્રીગેશનનું ટેન્ડર પ્રાદેશિક કચેરીમાં મોકલવામાં આવ્યું છે. જુના કચરાના ટેન્ડરો આરસીએમમાં મંજૂરી માટે મોકલાયા છે. શહેરના જર્જરિત મકાનોનો સર્વે કરી નોટિસ આપવાની સૂચના અપાઈ છે. વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં પંપ મૂકવા અને જેટિંગ મશીનનો ઉપયોગ કરવા નિર્દેશ અપાયો છે. રસ્તા પરના લારી-ગલ્લા અને દબાણો દૂર કરવા માટે એસ.આઈને સુચના આપવામાં આવી છે.
નગરપાલિકાએ ચોમાસા પહેલાં નાળા અને નહેરોની સફાઈ પર વિશેષ ભાર મૂક્યો છે. પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે વરસાદમાં જળ ભરાવાની ફરિયાદો આવશે તો સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.આ સાપ્તાહિકી બેઠકમાં પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિત વિવિધ શાખાના અધિકારીઓ કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

