પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે
ક્લોરિનેશન, દવાનું વિતરણ અને સર્વે કામગીરી શરૂ; બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ, થરાદ, વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ “રાઉન્ડ ધ ક્લોક” કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એન.જી.ઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. થરાદ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા અને વાવ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે. થરાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એચ.વી.જેપાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ અન્ય વિભાગો અને સરપંચ તલાટી સાથે સંકલનમાં રહી ખડેપગે સેવાઓ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહી ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.


