આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પહેલગામના દિવંગતોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આરોગ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રેડીયો કાર્યક્રમ “મન કી બાત “ને પણ સૌએ સાંભળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત નું સમૂહ શ્રવણ કરાવવામાં આવ્યું હતું.
63 નવ દંપતિઓને આશીર્વાદ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા પોતાના સમાજને ઉન્નત કરવાની પ્રબળ ઈચ્છા સાથે આગળ વધો. સંઘશક્તિ કલયુગે એટલે કે આ સમયમાં સમૂહ શક્તિ જ શક્તિબળ છે. ઠાકોર સમાજની નવી ઊંચાઈઓ આપવા માટે શિક્ષણ ભવન માટે માતબર રકમની જન પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા જ્યારે જાહેરાત થઈ છે. ત્યારે સરકાર સમક્ષ તમારી દરખાસ્ત મુકો એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજના પ્રસંગે ઉપસ્થિત વિવિધ જનપ્રતિનિધિઓએ મહેસાણા ખાતે ઠાકોર શિક્ષણ ભવન બનાવવા માટે માતબર રકમના દાન અને ફાળવણીની જાહેરાતો કરી હતી. જેમાં દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, વિકસિત સમાજની પ્રેરણા લઇ શિક્ષણ અને સહકારથી સંગાથ સાથે આગળ વધો અને વિકસીત થાઓ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં લગ્નના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

