ઉનાળા સિઝનની શરૂઆતમાં જ ભુગર્ભ જળ તૂટતા જગતના તાતમાં ચિંતાનો માહોલ; ટયુબવેલ માં ભૂગર્ભજળનું લેવલ મેળવા ખેડૂતોને ૨૦ ફુટની નવી કોલમ ઉતરાવવાની નોબત આવી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા ના કેટલાક ભાગોમાં ભૂગર્ભજળ માં છેલ્લા કેટલાક દિવસથી મોટો ઘટાડો નોંધાયો છે. ઉનાળાની સિઝન ના પ્રારંભે ભૂગર્ભજળ તૂટતા ખેડૂતોને ટયુબવેલ માં નવી કોલમ (પાઇપ) ઉતારવાની નોબત આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીયાળ વિસ્તાર તરીકે ગણાતા ડીસા વિસ્તારમાં પણ ભૂગર્ભજળ તુટતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સમયે ખળખળ વહેતી બનાસ નદીના કારણે ડીસા તાલુકાના ગામડાઓમાં પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું માત્ર ૧૫૦ ફૂટે પાણી નો સ્ત્રોત મળી રહેતો હતો પરંતુ ત્યારબાદ ૪૦૦ થી ૫૦૦ ફૂટે ભુગર્ભ જળ ગયુ તેના પછી પણ ભૂગર્ભ જળ નું સ્તર નીચું જતાં ૭૦૦ થી ૭૫૦ ફુટે ભુગર્ભ જળ પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલો દોતીવાડા અને સીપુ ડેમો પણ ન ભરાતા આ વિસ્તારમાં સતત ભુગર્ભ જળ નો ઘટાડો થયો છે ખળખળ વહેતી બનાસ નદી પણ નિર્જીવ બની જતા ઝડપથી ભુગર્ભ જળ ઉંડુ જઈ રહ્યું છે જેમાં ઉનાળા ની શરૂઆતમાં જ ડીસા તાલુકા ના અનેક ગામડાઓમાં એકદમ ભૂગર્ભજળ તુટી રહ્યું છે. જેનાથી ખેડુતોને આર્થિક બોજ પણ વધી રહ્યો છે.
ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં ચાલુ હાલતમાં રહેલા ટયુબવેલો માંથી પણ પાણી ઓછું થઈ રહ્યું છે. અને કોલમો નાખવા ની જરૂરીયાત ઉભી થઈ છે જેથી આગામી સમયમાં જળસંકટનો ગંભીર ખતરો રહેલો છે. છેલ્લા પંદર દિવસમાં ડીસા પંથકમાં ૧૦ થી ૧૫ ફૂટ જેટલું પાણી તૂટતા ખેડૂતોને ૨૦ ફુટની નવી કોલમ નાખવાની જરૂરિયાત ઊભી થઇ છે જેના કારણે ઠેરઠેર ડીસા પંથકમાં ગામડાઓના બોરવેલ ઉપર સરખી ના મશીનો લાગેલા પણ જોવા મળી રહ્યા છે.
કેનાલ મારફતે બંને ડેમો સહિત ગામડાઓના તળાવ ભરવા જોઈએ- ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે આવનાર પાંચ વર્ષમાં જળ સમસ્યાનો ગંભીર ખતરાને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા જિલ્લાની જીવાદોરી સમાન બંને ડેમમાં કેનાલનું પાણી નાખવું જોઈએ અને દરેક ગામોના તળાવો ભરવા જોઇએ જેથી કરી આવનાર સમય ભૂગર્ભ જળનું લેવલ જળવાઈ રહે રાજય સરકાર દ્વારા ડીસા તાલુકા માં આવેલા તળાવો ભરવા ની મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવ પૂરા ભરાતા નથી તેના કારણે ભૂગર્ભજળ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે.
સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભજળ પણ જળવાઈ રહે છે; બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા થી સુજલામ સુફલામ કેનાલમાંપાણી છોડવામાં આવે તો આજુબાજુ વિસ્તારના ગામડાંના ખેડૂતોને ભૂગર્ભજળ જળવાઈ રહે છે એવું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ સરકારની ઢીલી નીતિના કારણે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી.


