કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ રવિવારે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પશ્ચિમી મીડિયાના અહેવાલોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અંતિમ અહેવાલ આવે તે પહેલાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રીત નથી. યુપીના ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટથી નવ શહેરો માટે ઇન્ડિગો ફ્લાઇટ સેવાઓને લીલી ઝંડી બતાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું કે અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના માટે પશ્ચિમી મીડિયામાં પાઇલટ્સની ટીકા કરવામાં આવી છે. 12 જૂનના રોજ થયેલા અકસ્માત માટે ઘણીવાર પાઇલટ્સને દોષી ઠેરવવામાં આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલે એક અમેરિકન અધિકારીને ટાંકીને દાવો કર્યો હતો કે “કેપ્ટને પોતે વિમાનના બંને એન્જિનમાં બળતણના પ્રવાહને નિયંત્રિત કરતા સ્વીચો બંધ કરી દીધા હતા.
નાયડુએ પશ્ચિમી મીડિયાના દાવાઓ પર નિશાન સાધ્યું અને તેમને અફવાઓ ફેલાવવા અને અપ્રમાણિત સમાચાર પ્રકાશિત કરવાથી દૂર રહેવા કહ્યું. તેમણે કહ્યું કે અમને AAIB ની તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ભારતમાં જ બ્લેક બોક્સને ડીકોડ કરીને ઉત્તમ કામ કર્યું છે. તેથી, અંતિમ અહેવાલ ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

